કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન, 1 મહિના પહેલાં થયો હતો કોરોના

બુધવાર, 25 નવેમ્બર 2020 (07:55 IST)
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે નિધન થયું છે. આ વાતની જાણકારી તેમના પુત્ર ફૈજલ પટેલે ટ્વિટ દ્વારા આપી છે. આ સાથે જ ફૈજલ પટેલે તમામને કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવાની અપીલ કરી છે. 
 
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને લગભગ એક મહિના પહેલાં કોરોના થયો હતો. ત્યારવાદ તેમનું સ્વાસ્થ્ય બગડી ગયું હતું. આ દરમિયાન અહેમદ પટેલના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તેમને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બુધવારે વહેલી સવારે 3:30 વાગે અહેમદ પટેલનું નિધન થયું હતું. 
 
ફૈજલ પટેલે ટ્વિટ કરીને લખ્યું હતું કે 'હું તમામ શુભચિંતકોને આગ્રહ કરું છું કે કોરોના ગાઇડલાઇન્સનું ખાસ પાલન કરો અને સોશિયલ ડિસ્ટેસિંગનો ખાસ ખ્યાલ રાખો. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે મરહુમ એહમદભાઈની અંતિમ ખ્વાહિશ અનુસાર તેઓની દફન વિધિ વતન પીરામણ ગામમાં તેઓના માતા-પિતાની કબરની બાજુમાં કરાશે. પીરામણ ગામ ખાતે આવેલ કબ્રસ્તાનમાં મરહુમ એહમદ ભાઈની દફનવિધિ કરાશે. તેઓની અંતિમવિધિ માટે કબર ખોદવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
 
તમને જણાવી દઇએ કે અહેમદ પટેલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ હતા. તે એકમાત્ર એવા વ્યક્તિ હતા, જેમનો 10 જનપથમાં સીધો સંપર્ક હતો. કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્દેશો અને સંકેતોને તેમના દ્વારા જ મોટા નેતાઓ સુધી પહોંચાડવામાં આવતા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર