બિહાર: નીતીશકુમાર ભાજપનું ‘રિમોટ કંટ્રોલ’ બનશે કે શક્તિશાળી મુખ્ય મંત્રી?

મંગળવાર, 17 નવેમ્બર 2020 (16:04 IST)
રાજકારણમાં એક કહેવત ખૂબ પ્રખ્યાત છે, જેની સંખ્યા જેટલી વધારે, એટલી વધારે તેની ભાગીદારી.
 
જોકે, ઘણી વખત આ કહેવત આ રીતે રજૂ કરવામાં આવે છે - જેની સંખ્યા જેટલી વધારે, એટલી વધારે તેની જવાબદારી. આ છેલ્લાં શબ્દમાં નીતીશકુમાર સરકારના આ કાર્યકાળનો સંપૂર્ણ સાર સંતાયલો છે.
 
નીતીશકુમાર સાથેના ગઠબંધન સરકારમાં ભાજપ પોતાનો સંપૂર્ણ હિસ્સો લેવાનું પસંદ કરશે, તો શું જવાબદારીનું પણ તે રીતે વહન કરશે?
 
બિહારની ચૂંટણીમાં જેડીયુ 43 બેઠકો સાથે ત્રીજા નંબરનો પક્ષ બન્યો અને ભાજપ 74 બેઠકો સાથે બીજા નંબરે આવી ગયું. તેમ છતાં ભાજપની વિનંતીને માન આપીને નીતીશકુમાર મુખ્ય મંત્રીની ખુરશી ઉપર બેસવા રાજી થયા.
 
બિહારમાં જેડીયુ ક્વોટામાંથી મુખ્ય મંત્રીની સાથે 6 મંત્રીઓએ શપથ લીધાં. ભાજપના ક્વોટામાંથી સાત મંત્રીઓએ શપથ લીધા છે. વીઆઈપી અને હમ પક્ષોથી એક-એક મંત્રીની નિમણૂક કરવામાં આવી છે.
 
રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે નવી સરકારને 'મજબૂર સરકાર'ની પદવી આપી છે અને શપથગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો છે.
 
શપથ લેવા બદલ નીતીશકુમારને અભિનંદન પાઠવતી વખતે તેજસ્વી યાદવે મુખ્ય પ્રધાનને 'નામાંકિત' તરીકે સંબોધન કર્યું. અગાઉ એમના નામની મુખ્ય મંત્રીપદ માટે સત્તાવારર જાહેરાત થઈ તે અગાઉ આરજેડીએ નીતીશકુમાર પર 40 બેઠકોવાળા મુખ્ય મંત્રીનો કટાક્ષ કર્યો હતો.
 
કૉંગ્રેસ પણ નીતીશકુમારનું રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં રહેશે એમ કહી ચૂકી છે.
 
એટલા માટે પ્રશ્નો થઈ રહ્યા છે કે નીતીશકુમારની ચોથી ટર્મ અગાઉ કરતા વધુ મજબૂત હશે કે પછી મજબૂરીભરી હશે.
 
અનેક નિષ્ણાતો મુજબ આ વખતે નીતીશકુમાર માટે મુખ્યમંત્રી બનવું એ તેમના રાજકીય જીવનનો સૌથી પડકારજનક સમય પુરવાર થશે. તો અમુક લોકો કહી રહ્યા છે કે હવે બિહારને બદલાયેલા નીતીશકુમાર મળશે. અત્યાર સુધી જે રીતે બિહારની સરકાર ચાલી છે, તેમાં ફેરફાર લાવવા પડશે.
 
સુશીલ મોદીની બાદબાકી
 
મુખ્ય મંત્રી પદના શપથ લીધા બાદ જ્યારે નીતીશકુમારને પૂછવામાં આવ્યું કે, શું તેઓ સુશીલ મોદીને મીસ કરશે? તેમણે એક શબ્દમાં જવાબ આપ્યો "હા".
 
સુશીલ મોદી બિહારમાં ભાજપના નેતા તરીકે ઓછા અને જેડીયુના નેતા તરીકે વધુ જોવામાં આવતા હતા. ભાજપના ઘણાં નેતા એ વાતથી નારાજ હતા કે સુશીલ મોદી ક્યારેય નીતીશકુમારનો વિરોધ નથી કરતા. આ જ કારણ છે કે ભાજપ સાથે ગઠબંધનમાં હોવા છતાં નીતીશકુમાર પોતાની મરજી પ્રમાણે સરકાર ચલાવતા રહ્યા અને તેમને અટકાવવા માટે કોઈ નહોતું.
 
બેઠકોના નવા સમીકરણ સાથે નીતીશકુમાર માટે આ વખતે લડાઈ થોડી અલગ રહેવાની છે.
 
અત્યાર સુધી ભાજપ તરફથી જે નેતાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે, તેમાંથી ખૂબ ઓછા લોકોને સરકાર ચલાવવાનો અનુભવ છે. આ વાતને પોતાની તરફેણમાં કરવામાં નીતીશ કેટલા સફળ થાય છે અને આ નેતાઓ સાથે કઈ રીતે સંકલન કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.
 
ભાજપના ભાગે ક્યું મંત્રીપદ આવે છે, તે એ વાત પર નિર્ભર કરશે કે સરકાર પર ક્યા પક્ષનું વર્ચસ્વ છે.
 
નીતીશકુમારના ભૂતપૂર્વ સહાયક પવન વર્મા કહે છે, "આવનારા સમયમાં નીતીશકુમાર માટે મુશ્કેલીમાં વધારો થશે. આવું એટલા માટે નહીં કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઇચ્છે છે પરતું ભાજપના બીજા નેતા તો મધ્યમ કક્ષાના નેતાઓ છે, પછી તે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં, તેમનો અવાજ હવે વધુ તીવ્ર બનશે. આ નેતાઓ વારંવાર કહેશે કે નીતીશકુમારે પોતાનું પદ ભાજપને આપી દેવું જોઈએ. આનાથી બંને વચ્ચે તણાવ હજુ વધશે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર