રંજનબેન બાદ સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી નહીં લડવા જાહેરાત કરી

શનિવાર, 23 માર્ચ 2024 (12:23 IST)
BJP candidate from Sabarkantha Bhikhaji Thakor announced not to contest election
 ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે આજે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે સાબરકાંઠા બેઠક પર જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને ઉમેદવારી નહીં કરવાની જાહેરાત કરી છે. બંને બેઠકો પર ઉમેદવાર ખસી જતાં ભાજપે હવે નવા ઉમેદવારોની શોધ કરવી પડશે. ભાજપના આંતરિક સુત્રો કહે છે કે, હજુ પણ એક કે બે સીટ પર ફેરફાર થાય તેવી શક્યતાઓ છે. 
 
હવે સાબરકાંઠાના ભીખાજી ઠાકોર ખસી ગયા
કોંગ્રેસમાં પણ ભરત સોલંકી, જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર સહિતના દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાનમાંથી ખસી ગયાં છે. અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયેલા રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનું બહાનું આગળ ધરીને મેદાન છોડી દીધું હતું અને ત્યાર બાદ તેમણે પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના અસંખ્ય દિગ્ગજોએ કેસરિયા કરી લીધા છે. ત્યારે ભાજપમાં હવે ઉકળતો લાવા જોવા મળી રહ્યો છે. વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટ મેદાનમાં ઉતર્યા હતા. જો કે, સતત ત્રીજી વાર રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતાં ભાજપમાં આંતરિક ડખા વધ્યા હતા. ઉમેદવાર તરીકે તેમનું નામ આવતા પાર્ટીના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ પણ તેમના ઉમેદવારી પર વાંધો ઉઠાવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું હતું.
 
છેલ્લી ઘડીએ ધાનાણીનું નામ જાહેર ના થયું
કોંગ્રેસની યાદીમાં જામનગર બેઠક પર જે.પી. મારવિયા અને અમરેલી બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરની દીકરી જેની ઠુમ્મરને ટિકિટ ફાળવવામાં આવી છે. રાજકોટ બેઠક પર છેલ્લી ઘડી સુધી ચર્ચામાં રહેલા પરેશ ધાનાણીના નામની જાહેરાત કરવામાં ન આવતા કોંગ્રેસમાં સળગતો જૂથવાદ સામે આવ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની અન્ય બે જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠકને લઈને પણ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકી નથી.સૂત્રો પસેથી મળતી માહિતી મુજબ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપતા સામે પક્ષે કોંગ્રેસ દ્વારા આ વખતે કડવા પાટીદાર વર્સીસ અન્ય સમાજના ઉમેદવારને મેદાને ઉતારી નવી ચાલ ચાલવા જઈ રહ્યું છે. જેમાં લેઉવા પાટીદાર, કોળી સમાજ અથવા બ્રાહ્મણ સમાજના ઉમેદવારને પસંદ કરી ચૂંટણી લડવામાં આવે તેવાં સમીકરણો તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
 
સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર કોણ?
ભાજપના ઉમેદવારે લોકસભાના મોટાભાગના લગભગ તમામ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ ખેડી દીધો છે અને જોરશોરથી પ્રચારમાં જોડાઈ પણ રહ્યા છે.પાંચ લાખથી વધુ લીડથી જીતવા માટે રેલી સભા ગજવી રહ્યા છે. સુરેન્દ્રનગર, અમરેલી અને જૂનાગઢ બેઠક પર રોજબરોજ નવા નામોની ચર્ચા ચાલી રહી છે. અમરેલી બેઠક પર કોંગ્રેસ દ્વારા જેની ઠુમરને ટિકિટ આપવામાં આવતા હવે ભાજપ પણ આ બેઠક પરથી મહિલા ઉમેદવારને મેદાને ઉતારશે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે. જ્યારે મહદંશે જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ રિપીટ થિયરી અપનાવી બન્ને બેઠક પર કોળી સમાજને ટિકિટ ફાળવી નવા જ નામની જાહેરાત કરે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર