કોરોના વેક્સિનનો 1 લાખ 20 હજારનો જથ્થો અમદાવાદ સિવિલ અને 96 હજાર ડોઝ ગાંધીનગર સિવિલ પહોંચ્યો

મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (13:00 IST)
પુણેની સીરમની કોરોના વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી છે. વેક્સિનના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ આરોગ્યસચિવ જયંતી રવિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલે વેક્સિનને લીલીઝંડી આપ્યા બાદ એને અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી રહી છે. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે 2 લાખ 76 હજાર જેટલો જથ્થો અત્યારે આવ્યો છે, જેમાં અમદાવાદ માટે 1 લાખ 8 હજાર વેક્સિન આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાશે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે.11 વાગે વેક્સિન અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. જ્યાં એરપોર્ટ પર વેક્સિનને વધાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ અને સિવિલ હોસ્પિટલના અધિકારી હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એરપોર્ટ પર આવી વેક્સિનનાં વધામણાં કર્યાં હતાં. એરપોર્ટ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેસીપી ગૌતમ પરમાર, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર