રાજ્યમાં 171 સગર્ભા મહિલા કોરોના સંક્રમિત, ડિલિવરીનાં પાંચ દિવસ પહેલા ટેસ્ટ કરાય છે

ગુરુવાર, 21 મે 2020 (19:17 IST)
વૈશ્વિક મહામારી કોરોનાએ ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરમાં પગ પેશારો કરી લીધો છે. રાજ્યમાં વર્તમાન સમય સુધી 12, 539 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાં સગર્ભા મહિલાઓના પણ કોરોના પોઝિટિવ આવવાના સમગ્ર રાજ્યમાં 171 કેસ નોંધાયા છે. સગર્ભા મહિલાઓના પોઝિટિવ કેસમાં પણ અમદાવાદ શહેર અગ્રેસર રહ્યું છે. જ્યારે 80 પોઝિટિવ સગર્ભા મહિલાઓના કેસ શહેરી વિસ્તારમા નોંધાયા છે. સગર્ભા મહિલા અને બાળક ને કોરોના કાળથી બચવા રાજ્ય સરકાર દ્વારા એક ગાઈડલાઈન પણ તૈયાર કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓને થયેલા કોરોના અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણના એડિશનલ ડાયરેકટર ડૉ.નીલમ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 171 સગર્ભા મહિલાઓને કોરોના થયો છે. કોરોના અંગેની ગાઈડલાઈન પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતી તમામ સગર્ભા મહિલાઓનો ડીલેવરીના 5 દિવસ પહેલા કોરોના રિપોર્ટ ફરજીયાત કરવામાં આવે છે.અત્યાર સુધીમાં નોંધાયેલા આ 171 કેસમાંથી 54 સગર્ભા મહિલાઓનું સફળતા પૂર્વક સિઝેરિયન કરવામાં આવ્યું છે. જ્યારે 2 મહિલાઓના મુત્યુ પણ થયા છે. વર્તમાન સમયમાં પ્રોટોકોલ પ્રમાણે જ સગર્ભા મહિલાઓની સારવાર કરવામાં આવી રહી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર