Shattila Ekadashi 2020 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

સોમવાર, 20 જાન્યુઆરી 2020 (11:43 IST)
એકાદશીનુ વ્રત મહિનામાં બે વાર ઉજવાય છે. આજે (20 જાન્યુઆરી 2020) ષટતિલા એકાદશી છે. માઘ મહિનાના કૃષ્ણપક્ષને ષટતિલા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. અન્ય એકાદશીની જેમ આ એકાદશીનુ પ્ણ વિશેષ મહત્વ છે. જો કે આખો માઘ મહિનો પૂજા ઉપાસના માટે પવિત્ર મહિનો માનવામાં આવે છે. આવામાં ષટતિલા એકાદશીનુ મહત્વ વધી જાય છે. માન્યતા છે કે આ એકાદશીના વ્રતથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થય છે.  એકાદશીના દિવસે સ્નાન દાન અને વ્રતનુ વિશેષ પ્રયોજન હોય છે. માન્યતા છે કે 24 અગિયારસનુ વ્રત કરનાર મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 
 
ષટતિલા એકાદશીના દિવસે કાળા તલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. વર્ષની બધી જ 24 અગિયારસ વિષ્ણુની પૂજા ઉપાસના માટે સમર્પિત હોય છે. પણ બધાનુ પોતાનુ એક જુદુ મહત્વ હોય છે.  ષટતિલા એકાદશીના દિવસે તલનુ દાન કરવુ અને કાલીની પૂજા કરવાનુ પણ પ્રચલન છે.   
 
ષટતિલા વ્રતનુ મહત્વ -  પૌરાણિક કથાઓ મુજબ જેટલુ પુણ્ય કન્યાદાન, હજારો વર્ષોની તપસ્યા અને સુવર્ણ દાન કર્યા પછી મળે છે તેનાથી વધુ ફળ એકમાત્ર ષટતિલા એકાદશીનુ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. તલનો ઉપયોગ પૂજા હવન પ્રસાદ સ્નન દાન ભોજન અને તર્પણમાં કરવામાં આવે છે. તલનુ દાનનું વિધાન હોવાને કારણે આ ષટતિલા એકાદશી કહેવાય છે. 
 
એકાદશીની પૂજા વિધિ 
 
એકાદશીના દિવસે સવારે સ્નાન વગેરેથી પરવારીને વિષ્ણુની પૂજા આરાધાના કરવામાં આવે છે. તલયુક્ત હવન કરવામાંં આવે છે. ત્યારબાદ આખો દિવસ ઉપવાસ કરીને નારાયણનુ ધ્યાન કરવામાં આવે છે. તુલસી પર ઘી નો દિવો પ્રગટાવો અને સૂર્યાસ્ત સમયે સાંજે એક વાર ફરી જ્યોત પ્રગટાવીને પૂજા કરો. તેના આગલા દિવસે સવારે સ્નાન કરીને પૂજા કર્યા પછી વ્રતના પારણા કરવામાં આવે છે. 
 
ષટતિલા એકાદશી વ્રત કથા - 
 
ઘર્મનિષ્ઠ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્‍ણને પૂછયું : “ભગવાન ! મૃત્‍યુ લોકમાં આવેલ પ્રાણીઓ પ્રાયઃ પાપ કર્મ કરે છે. એમને નરકમાં ન જવું પડે એ માટે કયો ઉપાય છે ? તે જણાવવાની કૃપા કરશો ? એની શું વિધિ છે ? એનું ફળ શું છે ? કૃપા કરીને આ બધી વાતો અમને કહો.” શ્રીકૃષ્‍ણ બોલ્‍યાઃ “નૃપશ્રેષ્‍ઠ ! પોષ મહિનાના શુકલ પક્ષની એકાદશી “ષટતિલા”ના નામથી પ્રખ્‍યાત છે. એ બધા પાપોનો નાશ કરનારી છે. મુનિ પુલસત્‍યે એની જે પાપહારિણી કથા દાલભ્‍યને કહી હતી તે સાંભળો.”
 
આ એકાદશી પોષ મહિનો આવે ત્‍યારે આવે છે. આ વ્રત કરનારે સ્‍નાનાદિથી પવિત્ર થઇ ઇન્‍દ્રીય સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી વગેરે બુરાઇઓનો ત્‍યાગ કરી દેવો જોઇએ. શ્રી હરિનું સ્‍મરણ કરીને જળથી પગ ધોઇને જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરવો. એમાં તલ અને કપાસ મેળવીને એકસો આઠ છાણા બનાવવા પછી પોષ મહિનામાં જયારે આદ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્‍યારે કૃષ્‍ણપક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો. બરાબર સ્‍થાન નક્કી કરીને, પવિત્ર થઇને શુધ્‍ધ ભાવથી દેવાધિદેવ શ્રીહરિની પૂજા કરવી. કોઇ ભૂલ થઇ જાય તો શ્રીકૃષ્‍ણનું નામોચ્‍ચારણ કરવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ચંદન, કપૂર, નૈવેદ્ય, વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા શ્રીહરિની પૂજા કરવી. ત્‍યાર બાદ ભગવાનનું સ્‍મરણ કરીને વારંવાર શ્રીકૃષ્‍ણનું ઉચ્‍ચારણ કરતા કરતા કોળું, નાળિયેર અથવા બિજોરોના ફળથી ભગવાનની વિધિ પૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું.”
 
જો તમારી પાસે બીજી બધી સામગ્રીના અભાવ હોય તો સો સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણ. છે.
 
“હે શ્રીકૃષ્‍ણ! આપ ઘણા દયાળુ છો, અમારા જેવા આશ્રયહિન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યાં છીએ. આ, અમારા પર પ્રસન્‍ન થાઓ આને નમસ્‍કાર છે. મેં આપેલ અર્ધ્ય આપ લક્ષ્‍મીજી સાથે સ્‍વીકારો.”
 
ત્‍યાર બાદ બ્રહ્મણની પૂજા કરવી. એને છત્રી પગરખા અને વસ્‍ત્રનું દાન કરો. દાન કરતી વખતે કહો કેઃ “આ દાન દ્વારા શ્રીકૃષ્‍ણ મારા પર પ્રસન્‍ન થાય !” પોતાની શકિત પ્રમાણે શ્રેષ્‍ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું. બીજુ વિદ્વાન પુરુષે તલથી ભરેલ પાત્રનું દાન કરવું જોઇએ. એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્‍પન્‍ન થાય છે, એટલા હજાર વર્ષો સુધી એ સ્‍વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્‍નાન હોમ કરવું. તલનું ઉબટણ કરવું.તલથી મિ‍શ્રિત જળ પીવું. તલનું દાન કરવું. અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો.
 
આ પ્રમાણે આ એકાદશીમાં છ કાર્યમાં તલનો ઉપયોગ થવાથી આ ષટતિલા એકાદશી કહેવાય છે કે જે બધા જ પાપોનો નાશ કરનારી છે. ”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર