Gudi Padwa (વર્ષ પ્રતિપદા) - જાણો ગુડી પડવાનું મહત્વ અને તેના વિશે પ્રચલિત દંતકથા

શુક્રવાર, 5 એપ્રિલ 2024 (19:21 IST)
gudi padwa

 

ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સામાન્ય રીતે હિંદુઓ કોઇ પણ નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે. એ દૃષ્ટિએ વર્ષના કેટલાંક દિવસો વણજોયા મુહૂર્ત તરીકે કે સાડા ત્રણ મુહૂર્ત જાણીતા છે. ગુડી પડવાનો દિવસ આ સાડાત્રણ મુહૂર્ત પૈકીનો એક છે. નવા ઘરમાં રહેવા જવું. કીમતી વસ્તુઓની ખરીદી કરવી. વગેરે બાબતો માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે. અને નવું પંચાંગ પણ શરૂ થાય છે. શાલિવાહન શકની શરૂઆત (હિંદુ કાળગણના પ્રમાણે) જ આ દિવસે થઇ.
મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાંઓમાં આંગણામાં ગાયના છાણથી લીંપીને તેની પર આ રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી (લાકડી) ઊભી કરવામાં આવે છે. ગુડીની ષોડશોપચારે પૂજા કરવામાં આવે છે. 

Gudi Padwa પાસેથી જરૂર શીખો આ 7 સંદેશ
 
ગુડી ઊભી કરતાં પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવામાં આવે છે. તેને હળદર- કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડ, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે. 
 
ઘરના આગળના ભાગમાં રસ્તા પરથી પણ સરળતાથી જોઇ શકાય તે રીતે ગુડીને બાંધવામાં આવે છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે.
 
આ દિવસની શરૂઆત કડવા લીમડાનાં પાન ખાવાથી કરવાની પ્રથા છે. કડવા લીમડાને આ અરસામાં નવા પાન ફૂટેલા હોય છે. તેના કૂમળા પાન લઇ તેમાં ગોળ, જીરું, સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાંખી તેને વાટીને ગોળી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક છે. આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે ઉતારવામાં આવે છે. ગામમાં જ્યાં રામનું મંદિર હોય ત્યાં રાયડાની માળા અર્પણ કરવામાં આવે છે. હળદર- કંકુ, ચોખા ચડાવીને પછી જ ગુડી ઉતારવામાં આવે છે. આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનનો પ્રારંભ થાય છે.
 
આ દિવસે નાનાં બાળકો પાસે શાળામાં પાટી પૂજન (સરસ્વતી પૂજન) કરાવવામાં આવે છે. પાટી પર ચંદ્ર, સૂર્ય, સરસ્વતી દોરી પાટીની એટલે કે વિદ્યાની પૂજા કરવામાં આવે છે


Edited by - Kalyani Deshmukh 
 

વેબદુનિયા પર વાંચો